શુક્રવાર, 22 નવેમ્બર, 2019

નિખાલસતા

નિખાલસતા કેમ મરી પરવારી છે?

આજકાલ જાણે આપણા સમાજમાંથી નિખાલસતા મરી  પરવારી છે. પણ એ વિષે આપણે આગળ કઈ પણ વાત કરીએ તે પહેલા એક ચોખવટ જરૂરી છે. નિખાલસતા અને કટુ વાણી એ બે માં ફેર છે. કડવું સત્ય, જરૂરી કે બિનજરૂરી સમયે કહેતા રહેવું અને પોતાની જાતને સ્પષ્ટવક્તા કહેવડાવવા એ નિખાલસતા નથી. એ હકીકતમાં એક એવી કુટેવ છે કે જે બીજાના હૃદયમાં ભોંકાય છે અને એનું સારું કોઈ પરિણામ શક્ય નથી. કોઈના દેખાવ, પહેરવેશ, શારીરિક અક્ષમતા અથવા બિનઆવડત એ બધા ઉપર કહેવું તે કોઈ નિખાલસતા નથી. એ તો એક પ્રકારની ક્રૂરતા છે. અને આવી ક્રૂરતા આપણા સમાજમાં હાલત અને ચાલતા જોવા મળે છે.

કોઈના ઉપર સાચું કે ખોટું લગાડવાનું અને પછી એમને મોઢામોઢ કહેવું એ એક પ્રકારની નિખાલસતા તો છે પણ એ ક્યાં અને  કેવી રીતે  અને કેટલી યોગ્ય હતી તે તો પ્રસંગોચિત છે. એવી નિખાલસતાની પણ અહીંયા વાત નથી કરતા। હું તો એવી નિખાલસતાની વાત કરું છું કે જે ખરા સંબંધ માં પરિણમે અને સંબંધને વધારે સુદ્રઢ બનાવે। જે પારદર્શક હોય,જે સચોટ અને સરળ હોય. જે પ્રેમભાવ વધારે અને દંભ ઘટાડે। ખરેખર તો દંભ એ નિખાલસતાનો વિરોધી છે. એટલે જ્યાં દંભ હોય ત્યાં નિખાલસતાની કોઈ શક્યતા જ નથી. અને એજ અહીંયા કહેવાનું છે કે આજે આપણા સમાજમાં દંભ છલોછલ દેખાય છે.

નિખાલસ બનવું એટલે સરળ બનવું। જયારે તમારું અંતર અને તમારો વ્યવહાર - એટલેકે  અંદર અને બહાર સમરસતા હોય ત્યારે જીવનમાં સરળતા પ્રવેશે। સરળ માણસ સહજ હોય. આડંબર થી દૂર હોય. દંભ થી પર  હોય આજકાલ એવું લાગે કે જાણે કે સંબંધોમાં ઔપચારિકતા છે. વ્યવહાર, આશા,ઉપેક્ષા, ના ગૂંચવાડામાં આપણે જાણે સાચો, ઉર્મિસભર, નિખાલસ સંબંધ ઉભો કરવાનું ભૂલી ગયા છીએ. વ્યવહાર છે માટે કોઈની માંદગીમાં ખબર પૂછવા જવું, પ્રસંગ છે એટલે મોઢું બતાવી આવવું, લગ્નમાં કંકોત્રી આવી એટલે ભેટ મોકલવી આ બધામાંથી બહાર આવીએ તો દિલનો સંબંધ કેળવાય। પાડોશીને ત્યાં લગ્ન પ્રસંગ માટે ખરેખર અંતરનો ઉત્સાહ ક્યારે પ્રગટે?

નિખાલસતા ઓછી થવાનું એક કારણ એવું છેકે આપણે સાચી લાગણીઓને ટીકા બનાવી છે. વ્યવહાર સાચવવાની જવાબદારી હેઠળ દબાયેલી વ્યક્તિને ક્યારે અંતરની લાગણી બતાવવાની તક મળે? ખુલ્લા દિલે કરેલા એકરાર ને જો આપણે હાસ્યાસ્પદ બનાવી મૂકીએ તો કોને દિલ ખોલવાની ઈચ્છા થાય? નિખાલસતા માટેની પહેલી શરત એ છેકે સંવાદ ના બંને છેડે - બોલનાર અને સાંભળનાર - વચ્ચે વિશ્વાસ, સમજ  અને સહૃદયતા હોય. આપણે એ આપી શકીએ છીએ? એક તો આપણે પોતપોતાના જીવનમાં એવા ગૂંચવાયેલા હોઈએ છીએ અથવા તો આપણા સ્માર્ટ ફોનમાં આપણે એવા અટવાયેલા હોઈએ છીએ કે આપણી પાસે નજીકની વ્યક્તિઓને સાંભળવા કે સમજવા માટે સમય હોતો નથી. બીજું કે નિખાલસતા માટેની સહૃદયતા આપણે ધીરે ધીરે ગુમાવી રહ્યા છીએ.

કહેનાર માટે પણ આ એટલુંજ સાચું છે. નિખાલસતા માટે સરળતા અને સહૃદયતા આ બે ખુબ જરૂરી વાત આજના ઘોંઘાટિયા જીવનમાં ખોવાઈ ગઈ છે. પછી નિખાલસતા ખોવાય જ ને!







શુક્રવાર, 4 ઑક્ટોબર, 2019

ખરી સ્વતંત્રતા તો છે અમદાવાદમાં

ખરી સ્વતંત્રતા તો છે અમદાવાદમાં

ભલે અમેરિકા સ્વતંત્રતાનો ઝંડો આખી દુનિયામાં ફરકાવતો હોય પણ તમે જો અનુભવ કરો તો ખબર પડે કે જીવનમાં ખરી સ્વતંત્રતા તો અમદાવાદમાં જ છે. તમારી મનગમતી રીતે જીવવામાં અમદાવાદમાં કોઈ મુશ્કેલી નહિ। જેમ જીવવું હોય તેમ જીવો। છૂટ. જેમકે ચાલતા હો અને અડધે રસ્તે ઈચ્છા થાય, અથવા સામે કોઈ ઓળખીતું દેખાય અને રસ્તો ઓળંગવો હોય, વાહન ચલાવતા હો અને લાલ લાઈટ ની પરવા ના કરવી હોય, ખાલી લેંઘો પહેરીને પાડોશમાં છાપું લેવા જવું હોય, રસ્તામાં બરાબર ટ્રાફિકના સમયે વરઘોડો કાઢવો હોય, રસ્તા વચ્ચે ડાન્સ કરવો હોય બધી છૂટ. મોટેથી સંગીત વગાડવું છે? છૂટ. લાઉડ સ્પીકર માં અડધી રાત સુધી ગીતો વગાડવા છે? છૂટ. રસ્તામાં ઉભા ઉભા પાણી પુરી ખાવી છે? છૂટ. અરે, ગમે ત્યાં પાન ખાઈને થુંકવું છે? છૂટ. નીચે સરકતી સીડી માં ઉપર જવું છે? છૂટ. રસ્તાની વચોવચ ક્રિકેટ રમો  કે ફટાકડા ફોડો। બધ્ધી છૂટ.
નાગરિકતાના કે માનવતાના સર્વ સામાન્ય નિયમો મૂકીને જીવવું હોય તો છૂટ.

પણ આ તો હજી ખાલી શરૂઆત છે.

ઓટલે બેસીને દાતણ કરો. બહાર રસ્તા ઉપર કપડાં ધુઓ, અરે રેલગાડીના પાટા ઉપર સંડાસ કરો કે રસ્તા ઉપર ખૂણામાં કોઈ વાંધો નહિ.ના તમને કોઈ ટોકે કે ના રોકે। ગાડીમાંથી  ઉતર્યા વગર બેઠા બેઠા શાકભાજી ખરીદવા છે કે ચાલતી ગાડીમાંથી બહાર કચરો ફેકવો છે. શાંતિથી કરી શકો છો. તમને કોઈ કઈ નહિ બોલે।બોલો હવે આવી સ્વતંત્રતા બીજે ક્યાં મળે? બીજે ક્યાંય પણ નહિ. બસમાં કે ટ્રેનમાં મૉટે મૉટે થી તમારા ફોન ઉપર ઘાંટા  પાડીને ધંધો ચલાવાય। સ્કૂટર ઉપર પાંચ સવારી થાય.  

રસ્તામાં એક્સીડેન્ટ થયો હોય અને કોઈ મરવાની અણી પર  હોય પણ તમે ત્યાંથી શાંતિથી ચાલી જાઓ તો કાંઈ વાંધો નહિ. ના કોઈ ટીકા કરશે કે ના કોઈ રોકશે। (ખરેખર, તો 'બરાબર કર્યું। આ જમાનામાં ખાલી લફરામાં ફસાવું નહિ" એવું કહેનારા ઘણા મળશે।) પાડોશી ના ઝગડો ચાલે છે? જો જો અંદર ના પડશો। બહારથી જોવામાં મઝા અને સલામતી છે.

કોઈને તેમના દેખાવ વિષે, કેટલા જાડા કે પાતળા થઇ ગયા કે કેટલા પૈસા કમાય છે તે પૂછવાની કે કહેવાની  પુરી સ્વતંત્રતા।  અરે, કોઈએ ક્યારે લગ્નઃ કરવા જોઈકે, ક્યારે પહેલું બાળક હોવું જોઈએ, ક્યારે બીજું, આ સર્વે કહેવાની  - સલાહ આપવાની - છૂટ. "ચાર વર્ષ લગ્ન ને થઇ ગયા અને કઈ સારા સમાચાર કેમ નથી" એવું તમને રસ્તાની વચ્ચો વચ્ચ પણ પૂછી શકાય। નવી નોકરી મળી? કેટલો પગાર આપે છે? મારા ભાઈબંધ ના દીકરા ને તો લગભગ ડબલ મળ્યો બોલો! (તમારો નવી નોકરી નો બધો આનંદ ગયો!) સલાહ સૂચન નો ઢગલો પણ સામેનાની ક્ષમતા જોયા વગર કરી શકાય।


 
બોલોહવે માનો છોને કે ખરી સ્વતંત્રતા તો તમને અમદાવાદમાં જ મળે?

મીનળ








સોમવાર, 5 નવેમ્બર, 2018

ચાલવા જવાની ખરી મઝા તો અમદાવાદમાં

ચાલવા જવાની ખરી મઝા તો અમદાવાદમાં

આમ જુઓ તો અમદાવાદ, કસરત અને મઝા એ ત્રણે  શબ્દો સાથે બેસે નહિ. ખરા અમદાવાદીઓને  મઝા અને  કસરત સાથે કોઈ સીધો સંબંધ ક્યારેય હતો નહિ અને કદાચ થશે પણ નહિ.  શારિરીક કસરત, કે જ્યાં પરસેવો પાડવો પડે, કે શરીરન કષ્ટ આપવું પડે ,એ મઝા કેવી રીતે કહેવાય? અમદાવાદી લોકોની મઝા એટલે લારી ઉપર પીધેલી ચા, માણેકચોકના ભાજીપાંવ અથવા ખુમચાની ભેળ ખાતા ખાતા ભાઈબંધોનસાથે સ્કૂટર ઉપર પગ લટકાવીને રસ્તામાં ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે રાજકારણની ચર્ચા. પણ બદલાતા સમય સાથે આજકાલ અમદાવાદી વિચારોમાં થોડો બદલાવ આવ્યો છે. અને શહેરમાં ઠેર ઠેર બગીચાઓમાં, કાંકરિયા કે નદી કિનારે વહેલી સવારે ચાલવા જવાની નવી પ્રથા ચાલુ થઇ છે.

તો તમને થશે કે ચાલવા જવામાં વળી મઝા શું? ચાલવા તો આખી દુનિયા જાય છે. પણ કોઈ પણ પ્રવૃત્તિમાં મઝા ઉમેરવી એ અમદાવાદી લોકો ને બરાબર આવડે।

અમદાવાદમાં ચાલવાની કસરત બીજી કોઈ પણ જગ્યા કરતા અલગ. શિયાળાની ઠંડી માં વહેલી સવારે ઉઠીને, માથે બુઢિયા ટોપી, ગળે મફલર, જાડો મઝાનો કોટ કે સ્વેટર, પગમાં નવા નક્કોર બુટ પહેરીને ઘરની બહાર નીકળવાનું। કુતરા પાછળ પડે નહિ માટે કોઈ કોઈ લોકો તો વળી હાથમાં લાકડી ઠપકાવતા ચાલે। થોડા અંતરે ગયા પછી બે ત્રણ ભાઈબંધો જોડાય। જો બગીચો થોડો દૂર હોય તો તો ગાડી માં જવાનું અને છે...ક બગીચાના ઝાંપા ને અડાડીને ગાડી એવી મુકવાની કે બીજા કોઈ ને અંદર જવાની જગ્યા પણ ભાગ્યેજ રહે. વિચાર આવે કે જો ચાલવા જ નીકળ્યા છો તો થોડે દૂર ગાડી મૂકી ને કેમ નહિ ચાલવાનું। પરંતું તમને ખબર છે કે એવો વિચાર પણ અસ્થાને છે. જો બગીચાની અંદર ગાડી લઇ જવાતી હોત તો એજ કર્યું હોત પણ આતો મજબૂરી છે માટે બહાર મુકવી પડે છે.

અંદર ગયા પછી આજુબાજુ નજર નાખીને જોઈ લેવું કે કોણ કોણ આવ્યું છે. ફલાણા ભાઈ કેમ આજે નથી આવ્યા અથવા આ વળી આમની સાથે શું વાત કરતા હશે  તેમ વિચારતા એક ચક્કર મારવું।ખાસ હાજી કોઈ ઓળખીતું દેખાય નહિ તો ધીમે ધીમે બીજું ચક્કર શરુ કરવું। જો કોઈ દેખાય તો પહેલા તેમની ખબર પૂછ્યા પછી જ ચાલવું પડેને? કોઈ ના હોય તો બે ચાર રાઉન્ડ ચાલવાનું થાય એટલે હાશ આ અઠવાડિયાની કસરત થઇ ગઈ હવે શાંતિ થી બાંકડા ઉપર બેસવાનું અને ભાઈબંધો સાથે ગોઠડી કરવાની। રાજકારણથી માંડીને રામાયણ સુધીની ચર્ચા ચાલુ થાય. જીવનભરની ફિલોસોફી ચર્ચાય, ઘરના પ્રોબ્લેમ અને શરીરના પ્રોબ્લેમ, બધા વિષયો વત્તેઓછે અંશે અહીંયા ખુલે। બીજાકોઈ ખૂણામાં થોડી બહેનો વાનગીઓની આપ લે કરે તો કોઈ ઘરગથ્થુ દવાઓની અસર ઉપર ટિપ્પણી આપે. ખ્યાલ આવે કે આ સમાજમાં થેરપી વાળા ની જરૂર જ નહિ પડતી હોય.

મિત્રો સાથે લાંબી વાતોની મઝા લીધા પછી અને  બીજા સાથેહૈયું ઠાલવ્યા પછી ચાલવા જવાની ખરી મઝા તો હવે આવે. અહાહા, બહાર નીકળીએ ત્યારે લારીઓમાં ગરમ ગરમ સૂપ થી માંડીને, જુદા જુદા ફળોના રસ, અડદિયો અને મેથીપાક જોઈને સોડમથી મન ખુશ થઇ જાય. વળી થોડો સંતોષ કે હજી હમણાં જ  કેલરી તો ઘણી બાળી છે એટલે  શાંતિથી આરોગો। એટલે છેવટે ચાલીસ મિનિટ ચાલ્યા પછી બસ્સો કેલરી ઉમેરીને જયારે ઘરે પાછા જઈએ ત્યારે મન, પેટ અને હૈયું બધું ખુશીથી તરબોળ હોય. અને ઘેર ગરમ ગરમ ચ્હા રાહ જોતી હોય એ તો વળી નફામાં।

હવે આ સાથે બીજે ક્યાંય પણ ચાલવા જવાનું સરખાવો। બીજે બધે તો. તમે સ્નીકર્સ ચડાવીને  લન્ચ બ્રેક માં અડધો કલાક ચાલવા જાઓ પછી પાછા ઓફિસમાં બાકી રહેલા મેસેજના જવાબ આપવા લાગી જાઓ. ના કોઈને મળવાનું, ના વાતો ની મઝા માણવાની  કે ના ગરમાગરમ સૂપ આરોગવાનો। બોલો હવે માનો છો ને કે ચાલવાની ખરી મઝા તો અમદાવાદમાં।

મીનળ



મંગળવાર, 3 જુલાઈ, 2018

હળવે હૈયે (6)

હળવે હૈયે (6)

છેવટે જવાનો દિવસ આવી લાગ્યો। શ્રીમતીજી તો બે દિવસ થી બેગોના પેકિંગ માં જમવાનું પણ ભૂલી ગયા હોય એવું લાગતું હતું। કામ નો તો પાર નહિ આવે એવું જ હતું। એકબાજુ ઘર બંધ કરવાનું, બીજી બાજુ બેગો ભરવાની, ઉનાળાની ગરમી માં તપતા હોઈએ પણ વિચાર ઠંડીના કપડાં બરાબર લીધા છે કે નહિ તે વિચારવાનું। શું સાથે લઇ જવાય અને શું કઢાવી નાખશે તેની ચિંતા, ખાખરા ભાંગી ના જાય ને અથાણાની બરણી ખુલી ના જાય. બાજુવાળા સરલાબેન આવ્યા તેમને યાદ કરાવ્યું કે ત્યાં કપડાં કઈ દરરોજ નહિ ધોવાય અને ધોશો તો સુકાવવા માટે દોરી લઇ જજો. આ બધી ઝીણી ઝીણી ચિંતામાં ખ્યાલ આવ્યો કે જે આપણે સામાન્ય વાતો માનીએ છીએ અને જે જીવન પદ્ધતિ થી આપણે ટેવાયા છીએ તે કેટલી આગવી છે.

પરદેશમાં આખી જીવન જીવવાની પદ્ધતિ જુદી। સવાર અને સાંજ જુદા। કપડાં પહેરવાના નિયમ જુદા (લેંઘો ઝભો પહેરીને બહાર ના નીકળશો એવુંતો ખાસ ટોકીને કહેવામાં આવેલું ) પૈસા જુદા, પ્રેમ પણ જુદો। આ બધામાં આપણને કેમ ફાવશે એવો વિચાર આવતો પણ શ્રીમતીજી નો ઉત્સાહ જોઈને વિખરી જતો. સાંજે - ના અડધી રાત્રે બધાને આવજો કહીને, ઘર ને તાળું મારીને એરપોર્ટ જવા નીકળ્યા। એરપોર્ટ પહોંચ્યા ત્યારે તો જાણે સરકસ માં આવ્યા। બાપરે, આટલા બધા માણસો રોજ પરદેશ જતા હશે કે આજે કઈ ખાસ છે? માણસો ના ટોળા,બેગો ની રમઝટ, ટ્રોલી શોધનારાઓની કાગઝડપે ઝપટ, પોલીસો ના ડંડાઓની ઠાકઠક,અને મુકવા આવેલા લોકોની છેલ્લી ઘડીની સૂચનાઓ। આટલી ચહલપહલ તો  આજકાલ ટ્રેન સ્ટેશન કે બસ સ્ટેન્ડ ઉપર પણ નથી હોતી! બધા બસ પરદેશ જ જતા હશે? વિચાર આવ્યો।

છેવટે ધક્કા મુક્કી ને ભીડને ભીડીને અમે અંદર જવાની લાઈન સુધી પહોંચ્યા।બધા કાગળો જોઈને પોલીસે અંદર તો જવા દીધા પણ ત્યાં પછી બેગો માં શું શું ભર્યું છે તે જોવાની બીજી લાઈન । અરે ભાઈ અહીંથી અથાણાં અને મસાલા શિવાય બીજું શું લઇ જતા હોઈશું? ત્યાર પછી બીજી લાઈન બેગો આપવાની। આ તો ભારે ચિંતા નો વિષય હતો. વજન (બેગોનું, અમારું નહિ)  વધી જશે તો? શ્રીમતીજીનું મોઢું તો એકદમ ટેન્શનમાં। અને થયું પણ એવું જ. છેલ્લી ઘડીએ ઠોસી ઠોસી ને જે નાસ્તા ભર્યા હતા તે એમનું સ્વરૂપ બતાવી રહ્યા હતા. "બહેન, આ બેગમાં પાંચ કિલો વજન વધારે છે. તમારે પૈસા ભરવા પડશે"।ફટાફટ બેગો ખોલી, પાંચ નાસ્તાના પડીકા હાથની બેગમાં ભર્યા।

એમ કરતા કરતા છેવટે છેક સિક્યોરિટી સુધી પહોંચ્યા।આ  હરોળ માં ચોખ્ખા બે જુદા વર્ગના લોકો દેખાતા હતા. દેશ માં ફરી ને પાછા જતા એન આર આઈ અને બીજા અમારા જેવા ફરવા જતા રહેવાસીઓ। શરીર પર કપડાં જુદા, મોઢા પર ના  હાવભાવ જુદા પણ પહોંચવાની તાલાવેલી એક સરખી।એન આર આઈ ના મોઢા ઉપર થાક, કંટાળો અને એરપોર્ટના દરેક કર્મચારી માટે કોઈ ને કોઈ ટીકા છલકાતી હતી. તેમાં હાવભાવમાં આ દેશ અને દેશવાસીઓ ક્યારે સુધરશે તે ચોખ્ખું વંચાતું હતું જયારે ફરવા જય રહેલા રહેવાસીઓ થાકેલા અને ચિંતાથી ભરપૂર દેખાતા હતા. જુવાનો બેફિકર, મહિલાઓ સામાન સાચવવાની ફિકરમાં, બાળકો અડધી રાતની નીંદર ખરાબ થતા રડવામાં, અને પુરુષો ફોને કાને લગાડેલા। અત્યારે તેમની સાથે કોણ વાત કરવા તૈયાર હશે તે વિચાર આવ્યો તેવો ખસેડી કાઢ્યો।

સિક્યોરિટી પસાર કરીને શાંતિ નો શ્વાસ લીધો। જોકે અડધી રાત જતી હતી પણ આંખમાં ઊંઘનું તો નામનિશાન નહોતું પણ એક પ્રકારનો થાક, થોડો ઉત્સાહ, થોડી ચિન્તા અને થોડી આજુબાજુની ચહલપહલ, બધું કૈક સ્વપનવત ભાસતું હતું। એવા કઢંગી મૂડ માં આ અપરિચિત વાતાવરણમાં પ્લેન માં ગોઠવવાની રાહ જોતા કઢંગી ખુરસીમાં બેઠા।વિચાર આવ્યો કે અમેરિકા જવાનું શા માટે નક્કી કર્યું। શાંતિ થી ઘેર ઓટલે બેઠા બેઠા છાપા વાંચવાની મઝા છોડીને આ વળી શું ઉભું કર્યું। ઘર ની પથારી બહુ યાદ આવી ગઈ. પણ હવેતો  ગયેજ છૂટકો એટલે આ વિચાર જ અસ્થાને છે એમ મન ને સમજાવી લીધું।

બાજુમાં બેઠેલા, ના અડધા ઊંઘતા, શ્રીમતીજીના મોઢા ઉપર આનંદ અને સંતોષ છલકાતો હતો. છેલ્લા થોડા વર્ષોની તેમની ખ્વાહિશ આજે પૂર્ણ થવા જઈ રહી હતી તે વંચાતું હતું।






રવિવાર, 24 જૂન, 2018

રાહ જોવાની કળા

અમદાવાદમાં શીખો: રાહ જોવાની કળા

અમદાવાદમાં જો તમારે સુખેથી લાંબો સમય રહેવું હોય તો રાહ જોવાની કળા હસ્તગત કરવી ખુબ જરૂરી છે. જેટલું જલ્દી તમે આ કળા હસ્તગત કરી શકો તેટલા જલ્દી તમે શાંતિ પામી શકો. તમને જયારે એ  ખ્યાલ આવી જાય કે અહીંયા સમય પાલન એ એક અશક્ય અને ના આંબી શકાય તેવો તારો છે ત્યારથી તમારી રાહ જોવાની કળા શીખવાનું શરુ થઇ જાય.. થોડું શીખી જાવ એટલે રાહ જોવી પડેશે તેવી આશા સાથે જ દિવસ ચાલુ કરો. લગભગ સવારથીજ રાહ જોવાનું ચાલુ થઇ જાય. સૌથી પહેલા દૂધવાળો, છાપાવાળો કે નોકર રાહ જોવડાવે, જો એ બધા સમયસર આવે તો ધોબી મોડો આવે. ત્યાર પછી બસ અથવા ટ્રેન રાહ જોવડાવે, બપોરે ગ્રાહક રાહ જોવડાવે અને સાંજે ભાઈબંધ રાહ જોવડાવે। જાણે કે રાહ જોવાનો અને  જોવડાવવાનો એક આપણો રાષ્ટ્રધર્મ હોય તેવું લાગે।  તો કેવી રીતે આ કળા હસ્તગત કરવી?

તો સાંભળો।

સૌથી પહેલા તો ઘડિયાળ જોવાનું બંધ કરી દો. સવારે 9 વાગે આવવાનું તમારી બાઈએ કહ્યું હશે તો આખી સવારમાં ક્યારેક તો આવશે। 9 વાગ્યાથી રાહ જોવા માંડો તો એ તમારો વાંક છે. એના મનમાં તો એણે વિચારેલું કે સવારે જવાનું છે અને લગભગ બાર વાગ્યા સુધી તો સવાર જ કહેવાય। પણ જોકે એ છેક એવું નહિ કરે. સાડા દસ કે અગિયાર સુધીમાં ક્યાંતો આવી જશે ક્યાંતો એનો ફોન તો આવશેજ। એટલે તમે જો ઘડિયાળ જોવાની માથાકૂટ માં ના પાડો તો તમે પણ ખુશ અને એ પણ ખુશ.

બીજું કે હંમેશા પ્લાન બ એટલેકે જો પહેલો પ્લાન સફળ ના થાય તો શું કરવું તે વિચારી રાખો। એટલે જેવો ખ્યાલ આવે કે હવે આ સુથાર આજે નહિ આવે તો બીજા કોને બોલાવીશ અથવા કેવી રીતે આ બારણું બેસાડીશ। આજે ધોબી ના આવે તો બીજું શું પહેરીશ। આજે રસોઈ કરવાવાળા બેન ના આવે તો શું જમીશું।
તમારા સંતોષ ખાતર જો તમારે ફોન કરવો હોય તો કરો પણ લગભગ તો તમારો ફોન જ નહિ ઉપાડે પણ જો ઉપાડશે તો બધા બહાના સાંભળવાની તૈયારી રાખો। ક્યાંતો કોઈ સ્વર્ગસ્થ થયું હશે, ક્યાંતો કોઈ માંદુ,ક્યાંતો રસ્તામાં જ હશે અને ક્યાંતો એક્સીડેન્ટ થયો હશે,ક્યાંતો લગ્ન પ્રસંગ અને ક્યાંતો અચાનક મહેમાન। આ કારણો સાચા હશે કે નહિ અથવા કેવા ખોટા કારણો બતાવી રહ્યા છે એવો વિચાર અયોગ્ય છે. જે પણ કારણ બતાવે તે સાચું છે તેવું માનવું। મન ના માને  તો એને મનાવવું।

ત્રીજું તો એ કે યાદ કરવું કે  જેવી રીતે દરેક વાદળની કિનારી પર રજત રેખા હોય છે એટલે કે જેવી રીતે જીવનના દરેક પ્રશ્નમાં કાંઈ સારું પણ નીકળતું હોય છે તેમ આ રાહ જોવાનો એક મોટો ફાયદો એ કે તમારે પણ કોઈ જગ્યાએ સમયસર પહોંચવાની ચિંતા નહિ. સામેવાળા રાહ જોશે। અને ફોન કરેશે તો કહેવા માટે ઘણા કારણો છે! આપણે સાંભળી સાંભળી ને શીખી ગયા છીએ.માટે કોઈ ચિંતા નહિ. મોડા નથી. રસ્તામાંજ છીએ।  હમણાં પહોંચ્યા જ સમજો।








સોમવાર, 2 એપ્રિલ, 2018

માંદા પડવાની ખરી મઝા તો અમદાવાદમાં

માંદા પડવાની ખરી મઝા તો અમદાવાદમાં

તમને થશેકે માંદા પડવામાં તો કાંઈ મઝા હોય? ખરેખર તો  ના હોય પણ જો તમે બીજા કોઈ પણ દેશમાં માંદાં પડ઼ો એટલે ડૉક્ટર પાસે જવાનું, દવા લેવાની અને માંદગી સહન કરી લેવાની, એ સિવાય કોઈ ખાસ બનાવ હોય નહિ.

પણ અમદાવાદમાં જરા વાત જુદી। જો તમને શરદી, ઉધરસ, તાવ અંથવા પેટ માં દુખવાની બીમારી આવે અને જો ડૉક્ટર ની ઓફિસે જવાનું થાય તો કૈક આવો અનુભવ થાય. પહેલા તો ડૉક્ટર ની ઓફિસ યાને કે દવાખાનાંમાં લાંબી લાઈન હોય. ડોક્ટરને હજી આવવાની વાર હોય તે પહેલા તો લાઈન ચાલુ થઇ ગઈ હોય. કોઈ તાવવાળું તો કોઈ ખાંસી ખાતું, કે કોઈ નાક નીસરતું સાથે બેઠું હોય.  તમને થોડી ચિંતા થાય કે અહીથી હું સાજો થઈને જઈશ કે કોઈ બીજાની માંદગી લઈને પણ એ ચિતા બાજુ માં મૂકી દઈને તમે ગોઠવાવો . કહેવાય છે કે દુ;ખી વ્યક્તિ ને કોઈ બીજો દુ;ખી વ્યક્તિ મળે તો ગમે. (misery loves company). તે પ્રમાણે આ બધા દર્દીઓ એકબીજા સાથે વાત માં જોડાય અને સલાહનો મારો ચાલુ થાય.

"તમને તાવ ક્યારથી આવે છે? કડવું કરિયાતું પીધું? મારા સાળાને  તો એનાથી જ સારું થઇ ગયું હતું". " પેટમાં દુખવાની તો એક જ દવા છે. ગમે તે કારણે પેટમાં દુખતું હોય તો ત્રણ દિવસના લાંઘણ  કરી કાઢો। બધું મટી  જશે"."પગ માં ઘા વાગ્યો છે તો પહેલા હળદર લગાડી છે ને? નહિતર પરુ થઈ જશે" 

લગભગ દરેક રોગની દવાઓ વિષે ચર્ચા થાય. તમને વિચાર આવે કે જો આ બધાને આટલી બધી ખબર છે તો અહીંયા કેમ આવ્યા હશે પણ એવા વિચારો અસ્થાને છે તે પણ સમજાય।

ત્યારપછી બીજા ખૂણામાં તત્વજ્ઞાન ચર્ચાય। " અરે ભાઈ હવે ઉંમર થઇ એટલે થોડું તો થાય ને? આ જીવન તો ક્ષણભંગુર છે." કેટલું ક્ષણભંગુર છે તેના ઉપર બે ચાર દાખલા સાથે વાતો થાય. ઉપરથી શું લાવ્યા છીએ અને શું લઈને જવાના છીએ તે યાદ કરાવાય। આપણે કરેલું કર્મ જ  આપણી સાથે આવશે એવા આત્મવિશ્વાસ સાથે  આપણે થયેલી માંદગી ને ભૂલી ને કરેલા કર્મો ઉપર ચિંતન કરતા થઇ જઈએ. ત્યાં સામે થી શેર બજાર ના ભાવો ચર્ચાતા સંભળાય તો કોઈક બાજુથી રાજકારણ। આ વખત બીજેપી આવશે કે કોંગ્રેસ અને જે પણ આવશે આપણે તો કોઈ ફાયદો નથી તેવું કોઈ અનુભવી ઉચ્ચારે।

આહા આવા વાતાવરણમાંથી ઉઠીને જયારે ડોક્ટરને મળવાનો વારો આવે ત્યારે માંદગી તો એની જગ્યાએ રહે પણ આપણે આપણા જ્ઞાનમાં કેટલો વધારો થયો અથવા તો આ નશ્વર દેહને સાચવવાનો શું ફાયદો છે તે વિચારમાં ક્યારે ઇન્જેક્સન લઈએ તે ખબર પણ ના પડે.

બાકી સાજા થવું એ તો ઈશ્વર ના ઉપર જ છે અને કર્મના બંધન પ્રમાણે દેહ ના દંડ તો ભોગવવાજ રહ્યા એવી સમજ સાથે ઘરે પહોંચી જઈએ.

મીનળ પંડ્યા

સોમવાર, 5 ડિસેમ્બર, 2016

હળવે હૈયે (5)

હળવે હૈયે (5)

હાશ હવે બેગો તૈયાર. એર ઇન્ડિયા ની ટિકિટો પણ આવી ગઈ એટલે  થોડી શાંતિ એવું વિચારતો હતો ત્યાંતો અંદરથી અવાજ આવ્યો.

"કહું છું.સાંભળો છો? "

વિચાર આવ્યો  કે કદાચ ગુજરાતી ભાષા ના  સૌથી વધારે ફાળ પડાવતા આ  ચાર શબ્દો હશે

"હા બોલો"

" આપણે હવે નીકળવાના પંદર દિવસ જ  બાકી રહ્યા છે. આપણે જતા પહેલા  બધા વડીલોને મળી લેવું જોઈએ."

"કેમ, એ લોકો ક્યાં જવાના  છે? આવ્યા પછી તરત દિવાળી આવશે ત્યારે મળીશું જ ને"

શ્રીમતીજી એ દલીલ કરી કે એમના આશિર્વાદ લઈને જઈએ તો સારું। વળી, પાછા આવીએ ત્યારે હોય કે ના હોય એવું  ઉચાર્યુ માટે વિવાદને ખાસ સ્થાન નથી તે સમજી જઈને મેં હા પુરાવી।

"તમે નક્કી કરજો કે કોને કોને મળવા જવું છે એટલે આપણે રજા ના દિવસે જઈ આવીશું" એમ બોલતા તો બોલ્યો પણ આ મળવા જવાનું લિસ્ટ આટલું લાબું નીકળશે તેવી ખબર નહોતી। જયંતિ  કાકા ને કાકી, બચુમામા ને મામી, વ્હાલામાંમા ને મામી, વાસંતી ફોઈ ને ફુઆ.  અને સૌથી મોટા બાફોઈઆ લોકોને તો મલવુંજ જોઈએ અને એ બાજુ જતા હોઈએ તો મારા મામા અને મારી  બહેન પણ ત્યાં જ છે એટલે એક આંટો ત્યાં પણ મારતા આવીશું।

બીજો ખાસ ખ્યાલ આવ્યો કે અમદાવાદ હવે બહુ વધી ગયું છે. એક રહે  રાયપુર અને બીજા સેટેલાઇટ। એક ઇસનપુર ને બીજા વસ્ત્રાપુર। આટલા રિક્ષાના પૈસામાં તો અડધા પરદેશ પહોંચી જવાય એવું જરા ગણગણ્યું એટલે શ્રીમતીજી તાડૂક્યાં।

"શું બોલ્યા? કોઈને મળવા જવાનું આવે એટલે તરત પૈસા ગણશો। આમ ને આમ તો કોઈની જોડે સંબંધ જ ના રહે. એતો સારું છે કે હું મળી છું એટલે બધા વ્યવહાર સચવાય છે નહીંતર તમને ખબર પડત કે સંબંધ ના રાખો તો શું થાય."

મનમાં ને મનમાં વિચાર્યું કે એ વાત વિચારવા જેવી તો હતી પણ હવે થોડું મોડું થઇ ગયું છે.

ખેર છેવટે રવિવારે સર્વ વડીલોને પ્રણામ કરી આવ્યા. કોઈએ વણમાગી  સલાહ આપી કે જો જો સાચવીને બધું રાખજો। સાંભળ્યું છે કે ચોરી બહુ થાય છે. ખરીદીમાં ખાસ ધ્યાન રાખવું। છેતરાઈ જવાય છે. તબિયત ખાસ સાંભળજો। ત્યાં જો  માંદા  પડ્યા તો આવી બનશે। ડોક્ટરોના બિલ નો પાર જ નહિ આવે.

તો કોઈએ પ્રશ્નો ની ઝડી વરસાવી। કેમ અમેરિકા જવાનું નક્કી કર્યું? પાછા આવશો કે પછી ત્યાંજ? કોને કોને મળવાનો પ્લાન છે ?  એરપોર્ટ પાર કોણ લેવા આવશે? અમેરિકામાં ક્યાં ક્યાં ફરશો? ગરમ કપડાં બરાબર લીધા છે ને?

તો કોઈ એ  વળી  ખરીદીનું લિસ્ટ આપ્યું। મારા માટે કેસર ચોક્કસ લાવજો। અને ન્યૂયોર્ક માં એક દુકાન માં ખાસ મસાજ કરવાની ગાદી મળે છે તે લવાય તો લાવજો। છેવટે સાંજે ઘેર આવ્યા ત્યારે બદામ, કેસર, પિસ્તા થી માંડી ને સ્વેટર, કમ્પ્યુટર, અત્તર અને ચોકલેટ લિસ્ટ માં ઉમેરાતા ગયા. હવે  સમજ  પડી કે મોટી બેગો કેમ જોઈએ। શ્રીમતીજી ની લાંબી દ્રષ્ટિ ઉપર માન ઉપજ્યું।

બસ હવે થોડા દિવસમાં અમેરિકા જોવા મળશે તે વિચારોમાં ઊંઘ ક્યારે આવી ગઈ તે ખબર પણ ના પડી.